વિશ્વ સિંહ દિવસની જામનગરમાં ઉજવણી:વન વિભાગ અને લાખોટા નેચર કલબે 2000થી વધુ વિદ્યાર્થીઓને સિંહના મોહરા વહેંચ્યા
જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ અને લાખોટા નેચર કલબ દ્વારા સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહ વિશે માહિતી આપવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 15 અને પ્રાઈમ સ્કૂલમાં વન વિભાગ અને લાખોટા નેચર કલબના તજજ્ઞો દ્વારા સિંહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું અને જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન 2000થી વધુ વિદ્યાર્થીઓને સિંહના મોહરાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને એશિયાટિક સિંહ રાજ્ય અને દેશનું ગૌરવ હોવાની માહિતી આપવામાં આવી.દેશળ ભગત શાળા નંબર 15માં યોજાયેલા કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય નિલેશભાઈ હાડા, લાખોટા નેચર કલબના આનંદભાઈ પ્રજાપતિ, જીગ્નેશ નાકર, વિનોદભાઇ લાખાણી, વન વિભાગના વી.પી. બોપલીયા વનપાલ, એમ.પી. ગાગિયા વનરક્ષક, કમલેશ પીંડારીયા રેસ્ક્યુર અને શાળાના પ્રિન્સિપાલ પારસ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાઈમ સ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો, લાખોટા નેચર કલબના સદસ્યો અને શિક્ષકો હાજર રહ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સિંહ આપણા દુશ્મન નહીં પણ મિત્ર છે તેવો સંદેશ આપવામાં આવ્યો. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જ એશિયાટિક સિંહ જોવા મળે છે. આ વિષય પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી.

What's Your Reaction?






