વ્યાજખોરોનો આતંક:અંજારના શિક્ષકે રૂ.40 હજારના 1.15 લાખ આપ્યા તોય ધાક ધમકી કરાઇ
અંજારના વરસાણાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે માતાની બિમારી સમયે રૂ.40 હજાર વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત રૂ.1.15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ ભોગ બનનાર શિક્ષકે અંજાર પોલીસ મથકે નોંધાવી છે. મુળ ધ્રાંગધ્રાના નારીચણાના હાલે વરસામેડીસ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા અને વરસાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકકુમાર પ્રેમજીભાઇ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી છ માસ પહેલાં તેમની નોકરી આંબાપર પ્રાથમિક શાળામાં હતી, તેઓ વરસામેડીથી અવર જવર કરતા હતા. તે સમયે તેમની માતાનું ઓપરેશન અમદાવાદ કરાવવાનું હોઇ રૂપિયાની જરૂર પડી હતી અને તેમણે શાળાના પ્રિન્સિપાલ છનાભાઇ ડાહ્યાભાઇ સોલંકીને વાત કરતાં તેમણે આંબાપરના અને અંજાર ખત્રી બજારમાં ઓફિસ ધરાવતા વાલાભાઇ કાનાભાઇ બકુત્રા પાસેથી રૂ.40 હજાર 8 ટકાના માસિક વ્યાજે લઇ દીધા હતા.ત્યારબાદ દર મહિને વાલાભાઇને તેઓ રૂ.3,200 વ્યાજ ચૂકવતા હતા. ત્રણ વર્ષમાં તેમણે રૂ.1,15,200 ચૂકવી દીધા હતા. આ નાણા લીધા ત્યારે તેમણે વાલાભાઇને ચેક આપ્યો હતો. તેમણે પાંચ લાખ રકમ ભરી ચેક બાઉન્સ કરાવી વકીલ મારફત નોટિસ મોકલાવી હતી. તે સમયે દોઢ લાખ આપવાનું નક્કી કરાયું પણ તેમની પાસે ન હોતાં રૂ.2 લાખ આપવાનું લખાણ બળજબરી પુર્વક કરાવ્યું હતું. વાલાભાઇ તેમને અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવી તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ વધ્યું છે. જે ચિંતાજનક છે.

What's Your Reaction?






