હારીજમાં પીવાના પાણીની પાઇપો તૂટી:યુજીવીસીએલના કોન્ટ્રાકટર પાસે પાલિકાએ 50 હજારનું વળતર માગ્યું
હારીજ નગરપાલિકા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનો તૂટી જવાની ઘટના સામે આવી છે. શ્રીનાથજી સ્ટીલ, શિવશક્તિ સોસાયટી અને વણકર વાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનો ઠેર-ઠેર લીકેજ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ તો પાઇપલાઇનો સંપૂર્ણપણે તૂટી ગઈ છે. આ કારણે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળી રહ્યા છે. વળી, તૂટેલી લાઇનોને કારણે રહેણાંક વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી પહોંચતું નથી. આથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર આશિષભાઈ દરજીએ યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને નોટિસ પાઠવી છે. નોટિસમાં પાઇપલાઇનોને થયેલા નુકસાન પેટે 50000 રૂપિયાનું વળતર માગવામાં આવ્યું છે. નગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

What's Your Reaction?






