સરસ્વતી ડેમમાં નર્મદાના પાણી આવતાં કોંગ્રેસે કર્યા વધામણા:ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કાર્યકરોએ શ્રીફળ વધેરી કર્યું સ્વાગત, ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. આથી સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી પાટણના સરસ્વતી બેરેજમાં પહોંચતા નવા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ સરસ્વતી બેરેજના ડેમ પર પહોંચીને શ્રીફળ વધેરીને નવા નીરનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી સુજલામ સુફલામ યોજના દ્વારા સરસ્વતી ડેમમાં ૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પાણી આવવાથી આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે ઘણો ફાયદો થશે.

What's Your Reaction?






