ભૂકંપથી ધ્રુજ્યું પશ્ચિમ તુર્કિયે:રિક્ટર સ્કેલ પર 6.19ની તીવ્રતા નોંધાઈ, હાલ જાનહાનિના કોઈ અહેવાલ નથી
તુર્કિયેમાં રવિવારે રાત્રે (સ્થાનિક સમય અનુસાર) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.19 નોંધાઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપના આચંકા અનેક પ્રાંતોમાં અનુભવાયા હતા. જોકે, હાલ જાનહાનિના કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી AFADના જણાવ્યા મુજબ, ભૂકંપ સાંજે 7:53 વાગ્યે આવ્યો હતો AFADના અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલિકેસિર પ્રાંતમાં રહ્યું હતું. જે તુર્કિયેના સૌથી મોટા શહેર ઈસ્તંબુલની નજીક આવેલું છે. બાલિકેસિર પ્રાંતમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના અહેવાલો મળ્યા છે. પરંતુ જાનહાનિના કોઈ અહેવાલો હજુ સુધી મળ્યા નથી. AFADના અનુસાર, ભૂકંપ 11 કિલોમીટરની ઊંડાઈ પર નોંધાયો હતો, જ્યારે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે ભૂકંપની તીવ્રતા 6.19 અને ઊંડાઈ 10 કિમી નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ X પર જણાવ્યું હતું કે AFADની ઈમર્જન્સી ટીમોએ ઇસ્તંબુલ અને આસપાસના પ્રાંતોમાં નિરીક્ષણ શરૂ કરી દીધું છે, પરંતુ અત્યાર સુધી કોઈ નકારાત્મક અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જાય છે અને જ્યારે વધુ પડતું દબાણ આવે છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

What's Your Reaction?






