ભાવનગરમાં 40મી રથયાત્રાની તૈયારી શરૂ:27 જૂને નીકળશે ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા, કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન
ભાવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી યોજાતી આ રથયાત્રા 27 જૂન, શુક્રવારના રોજ સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. રથયાત્રા સમિતિએ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિની પરંપરા અનુસાર, રથયાત્રાના એક મહિના પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે. કાળુભા રોડ પર સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ તેમના પુત્ર પાર્થ હરુભાઈ ગોંડલીયાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. ઉદ્ઘાટન સમારંભમાં સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

What's Your Reaction?






