શ્રાવણ સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ:વાંકાનેરના મંદિરે રવાડી નીકળશે, મહાઆરતી-ભંડારાનો હજારો શિવભક્તો લેશે લાભ
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે. આ ખાસ દિવસની ઉજવણી વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે ધામધૂમથી કરવામાં આવશે. પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવાડી નીકળશે. આ રવાડી મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યારબાદ મંદિરે પરત આવશે. રવાડી પૂર્ણ થયા પછી નિજ મંદિરમાં મધ્યાહન મહાઆરતી યોજાશે. મહાઆરતી બાદ ભંડારો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હજારો શિવભક્તો લાભ લેશે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારતમાં યોજાતા લોકમેળાઓમાં સૌથી પહેલો મેળો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાય છે. ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહંત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે શિવભક્તો મોટી સંખ્યામાં જડેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા છે. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. શિવભક્તો મેળાનો આનંદ માણવાની સાથે દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.

What's Your Reaction?






