ભાવુક થયેલો કોહલી બોલ્યો- 'હું આજે શાંતિથી સૂઈશ':'ક્યારેય વિચાર્યું ન હતું આ દિવસ આવશે, ઘણીવાર છોડવાનું મન થયું; મારું દિલ-આત્મા RCB સાથે'
17 વર્ષ પછી RCBએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નો ખિતાબ જીત્યો. આ શાનદાર જીત બાદ વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે. આ જીત બાદ, કોહલીની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે. વિરાટ કોહલીએ જીત પછી કહ્યું વિરાટ કોહલીએ કહ્યું, 'આ જીત અમારી ટીમ માટે એટલી જ છે જેટલી તે અમારા ફેન્સ માટે છે. તેમણે 18 વર્ષ લાંબી રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો. મેં મારી બધી તાકાત તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ પણ આવશે. છેલ્લો બોલ ફેંકાતાની સાથે જ હું ભાવુક થઈ ગયો.' કોહલીએ આગળ કહ્યું, 'એબી (ડીવિલિયર્સ)એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે શાનદાર છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું કે- આ જીત તમારી પણ છે અને હું ઇચ્છતો હતો કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે હજુ પણ અમારા માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડી છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે અમારી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.' કહ્યું - હું હંમેશા વફાદાર રહ્યો છું કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવી મોમેન્ટ્સ આવી જ્યારે મેં વિચાર્યું કે કદાચ મારે છોડી દેવું જોઈએ, પરંતુ મેં આ ટીમ છોડી નથી. મારું દિલ બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છે, અને જ્યાં સુધી હું આઈપીએલ રમીશ, હું આ ટીમ માટે રમીશ. હું આજે રાત્રે શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ.' કોહલીએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આખરે આ જીત મારી ઝોળીમાં આવી. કોહલીએ કહ્યું કે ઓક્શન પછી ઘણા લોકોએ અમારા પર સવાલ ઉઠાવ્યા, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ થઈ ગયો કે અમારી પાસે જે જોઈએ તે બધું છે. "ઈ સાલા કપ નમદુ" (આ વર્ષે કપ અમારો છે) - રજત પાટીદાર ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, "આ ક્ષણ મારા માટે, વિરાટ કોહલી માટે અને તમામ ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. જેઓ વર્ષોથી સમર્થન આપી રહ્યા છે, તેઓ બધા આ જીતના હકદાર છે. ક્વોલિફાયર બાદ અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે આગળ જઈ શકીએ છીએ. આ પિચ પર 190નો સ્કોર સારો હતો કારણ કે વિકેટ થોડી ધીમી હતી." "બોલરોએ જે યોજના બનાવી હતી, તેને અમલમાં લાવતા જોવું શાનદાર હતું. કૃણાલ વિકેટ લેનાર બોલર છે, જ્યારે પણ વિકેટની જરૂર હોય, હું તેની તરફ જ જોઉં છું. સુયશ અને અમારા પેસર્સ આખી સિઝનમાં સારા રહ્યા. શેફર્ડે આજે એક મહત્ત્વની વિકેટ લીધી. મારા માટે આ કેપ્ટનશિપ કરવાની એક મોટી તક અને શીખવાનો અનુભવ હતો, અને વિરાટ ભાઈ આનાથી વધુ લાયક છે. હું બધા ફેન્સને ફક્ત એક જ વાત કહેવા માગું છું, 'ઈ સાલા કપ નમદુ' (આ વર્ષે કપ અમારો છે)." કૃણાલની બોલિંગ ટર્નિંગ પોઈન્ટ હતી: શ્રેયસ અય્યર ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ અય્યરે કહ્યું, "થોડું નિરાશ છું, પરંતુ જે રીતે અમારી ટીમે રમત બતાવી, તેનો શ્રેય મેનેજમેન્ટ અને દરેક ખેલાડીને જાય છે. અગાઉની મેચ જે અમે અહીં રમ્યા હતા, તેને જોતા મને લાગ્યું કે 200 રનનો સ્કોર યોગ્ય રહેશે. પરંતુ તેમણે શાનદાર બોલિંગ કરી." "કૃણાલે અદભૂત અનુભવ બતાવ્યો, એ જ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. હું મારી ટીમના દરેક ખેલાડી પર ગર્વ અનુભવું છું, ઘણા યુવા ખેલાડીઓએ તેમની પ્રથમ સિઝન રમી અને તેમની નીડર રમત શાનદાર હતી. કામ હજુ અધૂરું છે, અમારે આગામી વર્ષે ટ્રોફી જીતવાની છે. દરેક મેચમાં ટીમનો જુસ્સો જોવા મળ્યો, એ મોટી વાત હતી. બધાને આ સિઝનમાંથી સારો અનુભવ મળ્યો છે અને અમે આગામી વર્ષે આનાથી વધુ સારું કરી શકીશું." આવી રહી ફાઇનલ મેચ RCBએ 17 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને RCBને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને ટીમો કોઈ ફેરફાર કર્યા વિના આ મેચમાં ઉતરી હતી. RCBની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. RCBએ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા હતા. કોહલીના બેટમાંથી 43 રન આવ્યા હતા. તે જ સમયે, જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં, પંજાબ કિંગ્સ 184 રન બનાવી શક્યું અને RCBએ ટાઇટલ જીત્યું.

What's Your Reaction?






