સાવરકુંડલા પદયાત્રા સંઘની સોમનાથ યાત્રા:શિવભક્તોએ સોમનાથ મંદિરમાં દિવ્યધજા ચઢાવી, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો પ્રારંભ 30 જુલાઈ, 2025ના રોજ સાવરકુંડલાથી થયો હતો. પદયાત્રામાં વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ, સ્વયંસેવકો અને શિવભક્તો સહભાગી થયા હતા. આજે પવિત્ર સોમવારે પદયાત્રા સંઘ સોમનાથ મંદિર પહોંચ્યો હતો. ત્યાં મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ દાદાને ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. દશનામ ગૌસ્વામી ભવનથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દિવ્યધજા ચઢાવવા માટે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારા અને ડીજેના તાલે શિવભક્તોએ અદ્ભુત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રામાં ભાગ લીધો હતો. સોમનાથ મંદિરના પટાંગણમાં શાસ્ત્રોક્ત રીતે દિવ્યધજાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાળ ધજાને મંદિરના શિખર પર ફરકાવવામાં આવી હતી. આ દુર્લભ ક્ષણે સંપૂર્ણ વાતાવરણ શિવમય બની ગયું હતું. પદયાત્રીઓ અને શિવભક્તોએ આનંદ અને ઉત્સાહથી "હર હર મહાદેવ"ના નાદ સાથે વાતાવરણને ગુંજાવી દીધું હતું. સહભાગી તમામ શિવભક્તોએ સર્વે સમાજના કલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિની ભાવના સાથે શિવ વંદના કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા.

What's Your Reaction?






