જામજોધપુર-લાલપુરમાં "એક પેડ મા કે નામ" કાર્યક્રમ:વિદ્યાર્થીઓએ માતાના નામે વૃક્ષ વાવ્યાં, પેઇન્ટિંગ સ્પર્ધામાં કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન
"મેરા યુવા ભારત, જામનગર"ના નેજા હેઠળ જામજોધપુર અને લાલપુર તાલુકામાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુસર "એક પેડ મા કે નામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતા પ્રત્યે સન્માનની લાગણી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. બંને તાલુકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. યુવા મંડળના સભ્યો અને સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા. સૌએ પોતાની માતાના નામે એક-એક વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વૃક્ષારોપણની સાથે માતા અને પર્યાવરણ થીમ પર આધારિત પેઇન્ટિંગ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ કલાકૃતિઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમોનું આયોજન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ મૂળચંદજી દેશભ્રાંતરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો બાદિયાવદ્રા આશાબેન અને વારાગીયા જયદીપભાઈ હાજર રહ્યા. ખિંત લખનભાઈ અને ખિંત ખીમાભાઈ પણ ઉપસ્થિત રહ્યા. એન.પી.કે.વી. હાઈસ્કૂલના આચાર્ય ખરસંદિયા મંજિલ અને આચાર્ય ત્રિવેદી ઇશિતભાઈએ પણ હાજરી આપી. બંને સ્થળોએ શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં યુવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા.

What's Your Reaction?






